Custom Search

Wednesday, September 23, 2009

શક્‍તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી








માનવ સંસ્‍કૃતિમાં ઉત્‍સવો-તહેવારો અને ઉજવણીનું વિશિષ્ટ સ્‍થાન છે. નહીં તો માણસ એકધારી જિંદગીથી કંટાળી જાય. આપણા ઉત્‍સવોને સંસ્‍કારો જોડે ગાઢ સંબંધ છે. સંસ્‍કાર ઘડતરમાં આ સાંસ્‍કૃતિક તત્‍વોનો જ ફળો રહેલો છે.
આસો સુદ એકમથી નવલી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે. આદ્ય શક્‍તિની ઉપાસનાનું પર્વ અને નૃત્‍યગીત સાથેની પૂજાનો ઉત્‍સવ નવરાત્રી યા નોરતાં એ તો ભારતીય સંસ્‍કૃતિનો અનેરો તહેવાર છે. નોરતાંના નવ-નવ દિવસ સુધી લોકો મા શક્‍તિની આરાધના કરે છે. પ્રથમ દિવસથી જ ગરબાની રમઝટ જામે તે છેક દશેરા સુધી આ આનંદનો ઉત્‍સવ ઉજવાય છે.

નવરાત્રી દૈવી શક્‍તિનો આસુરી શક્‍તિ ઉપરના વિજયનો ઉત્‍સવ છે એક પૌરાણિત કથા અનુસાર મહિષાસુર નામના અતિ શક્‍તિશાળી રાક્ષસથી દેવો-માનવો ત્રાહિમામ્‌ પોકારતાં હતા. ભાયભીત થયેલાં દેવોએ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશને પ્રાર્થના કરી. દેવોની આરાધનાથી પ્રસત્ર થયેલા બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશના પુણ્‍ય પ્રકોપથી ઉત્‍પત્ર થયેલી દૈવીથી મહિષાસુર હણાયો. આસુરી શક્‍તિને ડામી દેતી અને દૈવી શક્‍તિની પુનઃસ્‍થાપના કરતી આ દૈવી શક્‍તિ એ જમા અંબા-જગદંબા. આમ નવરાત્રી એટલે શક્‍તિની ભક્‍તિનો તહેવાર. નવરાત્રીએ માતૃ શક્‍તિના ગુણગાન ગાવાનો લોકોત્‍સવ છે. આપણા ખેતી પ્રધાન દેશમાં ખેતીનું કામ થઈ ગયા પછી શ્રાવણના તહેવારો અને શ્રાદ્ધના દિવસો બાદ ભાદરવાના પ્રથમ પંદર દિવસ લોકો માટે મોકળાશ હોઈ ને નવરાત્રિએ ધન-ધાન્‍યનો ઉત્‍સવ, કૃષિ પર્વ પણ કહી શકાય.
ભારતીય સંસ્‍કૃતિમાં નવનો આંક છેલ્‍લો હોવાથી તે પૂર્ણ ગણાય છે. વળી તે આંક નિર્ગુણનું પ્રતીક પણ મનાય છે. આપણા પુરાણો અને યોગદર્શન ચેતન માત્રનું સંચાલન કરનાર નવ સત્‍યો હોવાનું જણાવે છે. આપણા બ્રહ્માંડપણ નવ તત્‍વોના આધારે છે. એનું સંચાલન કરનાર નવ ગ્રહો છે. પ્રજાને ઉત્‍પત્ર કરનાર નવમનુઓ, મનુષ્‍યને ધારણ કરનાર પૃથ્‍વીના નવ દીપો, નવ નાગો, નવ નિધિઓ, નવ રત્‍નો, માનવ દેહમાં રહેલી નવનાડી અને જીવનના નવ રસ આ બધુ મહત્‍વ નવના અંકનું છે એટલે જ ઘણી જ શ્રદ્ધાથી નવની સંખ્‍યાને મૂળ સંખ્‍યા અથવા પૂર્ણાંક તરીકે ઓળખાવી છે. ગણિતની ગમ્‍મત એવી છે કે નવના આંકને ગમે તે એકી રકમથી ગુણતાં જે સરવાળો પણ નવ જ થાય છે. ઉદાહરણ તરીકે નવ દુ અઢાર, નવ તરી સત્તાવીશ, નવ ચોક છત્રીસ, નવ પંચે પિસ્‍તાળીશ આ રકમનો સરવાળો પણ નવ થાય છે. આવા જ કારણોથી હિંદુ પરંપરામાં નવરાત્રીમાં મા આદ્ય શક્‍તિની ઉપાસનાનો નવ નવ રાત સુધી મહિમા ગવાયો છે.
ઈ.સ. પૂર્વે ૫,૦૦૦ પહેલાં ભારતમાં શક્‍તિપૂજાનું પગેરું પહોંચે છે. યુજુર્વેદમાં રૂદ્ર સાથે સ્રી દેવતાનો જે ઉલ્‍લેખ થયો છે. તેનું ઉત્તરોત્તર વિકાસ પામેલું રૂપાંતરિત સ્‍વરૂપ એ શક્‍તિની આરાધના. પુરાણો શક્‍તિપૂજાના ઉલ્‍લેખોથી સભર છે. સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં શક્‍તિની ઉપાસના ઇતિહાસના ઉગમકાળ જેટલી પ્રાચીન છે. લોથલ, રંગપુર, રોઝડી, ધોળાવીરા ઈત્‍યાદિ સ્‍થળોએ હરપ્‍પા સંસ્‍કૃતિના જે અવશેષો મળ્‍યા છે. તેમાંથી પકવેલી માટીની દેવી સ્‍વરૂપની અનેક આકૃતિઓ પ્રાપ્ત થઈ છે. ઋગ્‍વેદ સંહિતામાં પણ ઉષા, વાક, સરસ્‍વતી, પૃથ્‍વીની વગેરે દેવીઓનો ઉલ્‍લેખ એ વાતની સાક્ષી પુરે છે કે ગુજરાતમાં શક્‍તિના વિવિધ સ્‍વરૂપો પૂજાતા હતા.
ભારતના પ્રધાન શક્‍તિપીઠો પૈકી ગુજરાતમાં આવેલાં શક્‍તિ પીઠોનો મહિમા અનન્‍ય છે. સમગ્ર ગુજરાતમાં પર્વતો, ટેકારાઓ, ડુંગરા ઉપર શિખર ઉપર નદી, નાળાં, વોંકળા કે સમુદ્રકિનારે કુદરતી વાતાવરણમાં જંગલમાં કે વેરાનરણમાં કૂંવાના કાંઠે કે કોઈ વૃક્ષની નીચે પાષાણના દેવી સ્‍વરૂપ આકૃતિઓને શક્‍તિ તરીકે પ્રસ્‍થાપિત કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ગુજરાત શક્‍તિમાતાના ખુલ્‍લા સ્‍થાનકોથી રંગાયેલું છે અનેક શક્‍તિ-અવશેષો ધરતીમાં પૂરાયેલાં છે.
માર્કન્‍ડેય પુરાણમાં દુર્ગાસપ્તશતીમાં શક્‍તિના ત્રણ સ્‍વરૂપો દર્શાવ્‍યા છે. જેમાં પ્રથમ ચરિત્રમાં મહાકાલી, દ્વિતીય ચરિત્રમાં મહાલક્ષ્મી અને તૃતીય ચરિત્રમાં મહાસરસ્‍વતીનો ઉલ્‍લેખ કર્યો છે. જે અનુક્રમે તમો ગુણ, રજો ગુણ અને સત્‍વગુણની અધિષ્ઠાત્રી શક્‍તિઓ છે તેને ક્રિયા શક્‍તિ, ઈચ્‍છાશક્‍તિ અને જ્ઞાન શક્‍તિ સ્‍વરૂપે દર્શાવવામાં આવેલ છે. મહાકાલી એ શક્‍તિનું રોદ્ર સ્‍વરૂપ છે તેનો રંગ શ્‍યામ છે આ શક્‍તિદેવી તમો ગુણની અધિષ્ઠાત્રી છે. આપણા મનમાં ઉત્‍પત્ર થતાં તામસ શત્રુઓનો તે નાશ કરે છે મહાલક્ષ્મીએ ઈચ્‍છાશક્‍તિ-રાજસી શક્‍તિના અધિષ્ઠાત્રી છે. મહાસરસ્‍વતી શ્વેત રંગના છે. સૌમ્‍યસ્‍વરૂપા છે. જ્ઞાન શક્‍તિ છે. સત્‍વ ગુણની અધિષ્ઠાત્રી છે ક્રિયાશીલ અને ધર્મની ઈચ્‍છાવાળો માનવી જ્ઞાન તરફ્‍ વર્તે છે.
નવરાત્રીના નોરતાની દેવીઓ પણ નવ છે. પહેલાં નોરતાંની કુમારી, બીજાની ત્રિમૂર્ત,િ ત્રીજાની કલ્‍યાણી, ચોથાની રોહિણી, પાંચમાની કાલી, છઠ્ઠાની ચંડિકા, સાતમાની સાંભવી, આઠમાની દુર્ગા અને નવમાની સુભદ્રા આ નવ કુમારીકા દેવીઓની નવે દિવસ નવરાત્રી દરમિયાન પૂજા થાય છે. નવરાત્રીના દિવસો દરમિયાન ભાવના પ્રતિકો દ્વારા નવદુર્ગાનું સ્‍થાપન, પૂજન અને વ્રત રાખવામાં આવે છે. દેવીનું સ્‍થાપન યંત્ર દ્વારા, છિદ્રાવાળા ગરબામાં ઘીનો દીવો પ્રગટાવીને કે બાજઠ ઉપર કેળના પાન બાંધીને, ફ્‍રતુ રેશમી વસ્ર વીંટીને અથવા તો ઘઉંના
જ્‍વારા વાવી એમ જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે.
જ્‍વારાએ શરીરની પોષણ શક્‍તિનું પ્રતિક છે તો ગરબામાં મૂકેલો અખંડ દીપ માનવીના કર્મોના સાક્ષીરૂપ આત્‍માનું પ્રતીક છે.
શક્‍તિની સાધનાના પરમ પર્વ - નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગરબાની રમઝટ જામે છે. ગામડું હોય કે શહેર આ લોકોત્‍સવ ખૂબ જ આનંદ મંગલથી ઉજવાય છે. નર-નારીઓ ભાવનાપૂર્વક ગરબાની રમઝટ જમાવે છે. ગરબાથી ગુજરાતના ગામડાં ગુંજી ઉઠે છે. લોકો શ્રદ્ધા અને ભક્‍તિપૂર્વક શક્‍તિની પૂજાનો આનંદ માણે છે. આમ આપણી સંસ્‍કૃતિના અનેરા તહેવાર સમાન નવરાત્રી નૃત્‍યગીત સાથેની પૂજાનો નિરક્ષરથી વિધ્‍વાન, રાયથી રંક અને આબાલવૃદ્ધ સર્વને આવરી લેતો સાર્વવર્ણિક ઉત્‍સવ છે.


No comments: